વિઘ્નહર્તા ગણેશજીનું આગમન થવામાં ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ અને જે વર્ષોથી દેશવાસીઓના દિલો-દિમાગ પર છવાયેલા રહે છે, તે લાલ બાગ ચા રાજાનો ફર્સ્ટ લુક જાહેર થયો છે. રીદ્ધિ- સિદ્ધીના સ્વામી લાલ બાગ ચા રાજા સમગ્ર વિશ્વમાં વસતા કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે. લોકો દૂર-દૂરથી મનોકામના પૂર્તિ માટે મુંબઈમાં લાલ બાગ ચા રાજાના દર્શનાથે આવે છે. આ વર્ષે પણ ધામધૂમથી બાપ્પાની સ્થાપ્ના કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બરથી દર્શન માટે પંડાલ ખુલ્લો મુકવામાં આવશે.
લાલ બાગ ચા રાજાની સજાવટ અત્યંત મનમોહક છે
સુંદર મુખમંડળ, શણગાર અને ભવ્ય પ્રતિમાને જોઈ ભાવિક ભક્તો ચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર બાપ્પાનો ફર્સ્ટ લુક ભારે વખણાઈ રહ્યો છે. લાલબાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા ફર્સ્ટ લુક રીલિઝ કરવામાં આવ્યો હતો. ભવ્યાતિભવ્ય પ્રતિમાને આકર્ષક સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી છે. સુવર્ણ આભૂષણો, હીરાજડિત મુગટ, રેશમી પીતાંબરથી તેજોમય મુખે ભક્તોનું મન મોહી લીધુ છે. સમગ્ર પંડાલમાં ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. ગજાનનના પંડાળની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક થીમ રાખવામાં આવી છે. શિવપુત્રની પ્રતિમા પાછળનું વિશાળ ત્રિશૂળ અને શિવમંદિરની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યુ છે. શિવ મંદિરનો શણગાર અને આધ્યાત્મિક થીમ પર ડેકોરેશન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
14 સપ્ટેમ્બરથી ભક્તો માટે દર્શન શરૂ થશે
ગણેશ ચતુર્થીના દિવસથી પૂજા-અર્ચના સાથે ભક્તોને માટે અવિરત દર્શન વ્યવસ્થા શરૂ થશે. ભક્તો માટે 24 કલાક દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે લાલ બાગ ચા રાજાનો લાખોનો વિમો પણ ઉતારવામાં આવે છે. ભક્તોને દર્શન માટે ચરણ સ્પર્શ લાઈન અને મુખ દર્શન એમ બે પ્રકારની લાઈન હોય છે. લાલ બાગ ચા રાજાના દર્શન માટે દેશ-વિદેશથી ભક્તો મોટી સંખ્યામાં આવે છે. અધિકારીઓ, રાજકારણીઓ, અભિનેતા-અભિનેત્રીઓ પણ ખાસ દર્શન માટે આવે છે. જે ભક્તો પંડાળમાં દર્શન માટે આવી નથી શકતા તેમના માટે 24 કલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અને ઓફિશિયલ ચેનલ પરથી LIVE આરતી અને દર્શનનું પ્રસારણ કરવામાં આવશે.












