કેદારનાથમાં પગપાળા માર્ગ પર ભયાનક લેન્ડ સ્લાઈડ થયુ છે. ભૂસ્ખલનની આ ઘટનામાં પહાડો પરથી મોટા મોટા પથ્થર સતત નીચે પડી રહ્યા છે. જેમાં એક પદયાત્રી પર મોટો પથ્થર પડતાં તેનું મોત થયુ છે. જેના કારણે યાત્રાળુઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. કેદારનાથ યાત્રાને થોડા સમય માટે રોકી દેવાઈ હતી. લેન્ડ સ્લાઈડ થયુ તે વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. આજે હવામાન સામાન્ય અને ભૂસ્ખલન ન થતાં સુરક્ષા જવાનો, SDRF, DDRF અને YMF ના જવાનોની મદદથી યાત્રાળુઓને માર્ગ પસાર કરાવવામાં આવી રહ્યો છે.
પ્રશાસન અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે ઉપસ્થિત
મળતી માહિતી પ્રમાણે, ચીરબાસા હેલીપેડ નજીકના વિસ્તારમાં મોટો પથ્થર નીચે પડતાં 65 વર્ષીય મોહન તિવારી નામના પદયાત્રીનું મોત થયુ છે. વરસાદ અને સતત ભૂસ્ખલનના કારણે યાત્રાને કેટલાક સમય પૂરતી રોકી દેવામાં આવી હતી. પહાડો પરથી ભૂસ્ખલન થવાના કારણે પદયાત્રા માર્ગ પ્રભાવિત થયો છે. મોટો પથ્થર પડતાં અને શ્રદ્ધાળુનું મોત થતાં, અન્ય શ્રદ્ધાળુઓ ડરના માર્યા સુરક્ષિત સ્થળે પહોંચવા મથી રહ્યા હતા. DDRF અને YMF ની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહને ગૌરીકુંડ લાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
યાત્રાળુઓ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી
સતત વરસાદ અને લેન્ડ સ્લાઈડની ઘટનાને જોતા ઉત્તરાખંડ સરકાર અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યુ છે. વધુ કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે તાત્કાલિક ધોરણે કેદારનાથ યાત્રા બંધ કરી દેવાઈ હતી. યાત્રાળુઓને સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં જ સુરક્ષિત સ્થળોએ રહેવાની સૂચના પ્રશાસન તરફથી આપવામાં આવી છે. જે લોકો કેદારનાથ બાબાના દર્શન કરીને પરત ફરી રહ્યા છે, તેમને જંગલચટ્ટીમાં રોકી દેવાયા છે.












