ડિજિટલ પેમેન્ટ અને UPIના વધતા ઉપયોગ વચ્ચે ઓનલાઈન ફ્રોડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણીવાર ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઈ જાય છે અને બાદમાં રિફંડ મેળવવા માટે ગ્રાહકોને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ હવે આવા ડિજિટલ સ્કેમનો ભોગ બનતા ગ્રાહકોની મદદ માટે દેશની કેન્દ્રીય બેન્ક એટલે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આગળ આવી છે. આવા કિસ્સાઓમાં ગ્રાહકોને રાહત આપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ એક ઐતિહાસિક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ડિજિટલ ફ્રોડના પીડિતોને મળશે રાહત
24 જૂન 2026ના રોજ RBI દ્વારા નિયમ મુજબ જો હવેથી તમારી સાથે કોઈ પણ ઓનલાઇન ફ્રોડ કે UPI છેતરપિંડી થશે, તો રિઝર્વ બેન્ક પોતે તમને થયેલા નુકસાનનું વળતર ચૂકવશે. સરળ શબ્દોમાં સમજીયે તો, તમામ ડિજિટલ પેમેન્ટ મોડ જેવા કે, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પછી ભલે તે કાર્ડ સ્વાઇપ(Card Swipe) કે ટેપ કરીને કરાયું હોય કે ઓનલાઇન ડિટેલ્સ નાખીને, નેટ બેન્કિંગ(net Banking), UPI ટ્રાન્સફર(UPI Transfer), મોબાઇલ બેન્કિંગ(Mobile Banking), વગેરે તમામ પ્રકારના ડિજિટલ વ્યવહારોને આવરી લેવામાં આવ્યા છે.
કોને અને કેટલું વળતર મળશે?
RBIના નવા ફ્રેમવર્ક મુજબ, 1 જાન્યુઆરી 2027થી નાના મૂલ્યના ડિજિટલ બેન્કિંગ ફ્રોડ (Digital Banking Fraud)માં પાત્ર ગ્રાહકોને ₹25,000 સુધીનું વળતર મળી શકશે. આ નિયમ તેવા કિસ્સાઓમાં લાગુ થશે, જેમાં ડિજિટલ ફ્રોડથી થયેલું નુકસાન ₹50,000 સુધીનું હોય. ગ્રાહકને નુકસાનની 85% રકમ અથવા મહત્તમ ₹25,000 બેમાંથી જે ઓછું હોય તેટલું વળતર મળી શકશે.
RBIના નિયમ મુજબ વળતર મેળવવાની શરતો
આ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિને તેના આખા જીવનમાં માત્ર 1 જ વાર વળતર મળી શકશે. બીજી વાર ફ્રોડ થાય તો કોઈ મદદ નહીં મળે. તમને વધુમાં વધુ 25,000 રૂપિયા અથવા નુકસાનના 85% એટલે બે માંથી જે ઓછું હોય તેટલા જ પૈસા મળવાપાત્ર હશે. ઉદાહરણ તરીકે, જો 40,000 રૂપિયાનું ફ્રોડ થાય, તો નિયમ પ્રમાણે તેના 85% એટલે કે 34000 રૂપિયા થાય. પરંતુ નિયમની મર્યાદા મહત્તમ 25,000 રૂપિયાની હોવાથી, તમને 25,000 રૂપિયા જ વળતર મળશે.
જો ભૂલ બેન્ક કે થર્ડ પાર્ટી અથવા ગ્રાહકની હશે તો પણ મળશે રિફંડ
- બેંક ની ભૂલ : જો ગ્રાહક સાથ ફ્રોડ બેન્કની સુરક્ષાની ખામીથી, સિસ્ટમની ભૂલ અથવા બેન્ક દ્વારા સમયસર એલર્ટ ન મોકલવાના કારણે થયું હોય, તો ગ્રાહકને નુકસાન માટે જવાબદાર ગણી શકશે નહીં. ભલે ગ્રાહકે તેની જાણ કરી હોય કે ન હોય. આવા કિસ્સામાં બેન્ક પર ગ્રાહકને યોગ્ય રિફંડ આપવાની જવાબદારી રહેશે. ફ્રોડની ફરિયાદમાં બેન્કો માત્ર ગ્રાહકની બેદરકારી બતાવીને બચી નહીં શકે. બેન્કે પોતાની તરફથી પુરાવા રજૂ કરવા પડશે.
- થર્ડ પાર્ટીની ભૂલ : જો ફ્રોડ કોઈ પેમેન્ટ એપ(Payment App, પેમેન્ટ ગેટવે(Payment gateway), ટેલિકોમ પ્રોવાઈડર(Telecom Provider) અથવા અન્ય થર્ડ પાર્ટી સિસ્ટમની ખામીના કારણે થયું હોય, તો પણ ગ્રાહકને વળતર મળી શકે છે. પરંતુ આ માટે શરત એટલી જ છે કે ગ્રાહકે ફ્રોડ થયાની જાણ 5 કેલેન્ડર દિવસની અંદર બેન્કને કરવાની રહેશે. 5 દિવસ પછી રિપોર્ટ કરવા પર બેન્કની આંતરિક પોલિસી મુજબ નિર્ણય લેવાશે.
- ગ્રાહકની ભૂલ : આ નવા ફ્રેમવર્કનો સૌથી મહત્વનો ભાગ એ છે કે, જો ગ્રાહકની પોતાની બેદરકારીથી ફ્રોડ થયું હોય તો, જેમ કે ફિશિંગ લિંક(Phishing Link) પર ક્લિક કરવાથી અથવા ભૂલથી OTP શેર કરી દીધો હોય, તો પણ ગ્રાહકને વળતર મળી શકે છે. જો નુકસાન ઓછું હશે અને ગ્રાહકે તરત જ પગલાં લીધા હોય, તો આ નિયમ હેઠળ રાહત મળશે.
આ નિયમ ક્યારે લાગુ થશે?
RBIનો આ નવો નિયમ 1 જાન્યુઆરી 2027થી લાગુ થવાનો છે. શરૂઆતમાં આ ફ્રેમવર્ક એક વર્ષ માટે અમલમાં રહેશે. ત્યારબાદ RBI તેના પરિણામો અને અસરનું મૂલ્યાંકન કરી આગળનો નિર્ણય લઈ શકે છે. આ નવા નિયમથી બેન્કો પર પણ ફ્રોડના કેસમાં ઝડપી કાર્યવાહી કરવાની અને ગ્રાહકોને યોગ્ય સહાય આપવાની જવાબદારી વધશે.
આ પણ વાંચો : 3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

