AAP MLA Chaitar Vasava News : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૩ ના અંતમાં નોંધાયેલા ફોરેસ્ટ કર્મચારી પર હુમલા, સરકારી ફરજમાં રૂકાવટ બદલ તેમજ ખંડણી સહિતની ગંભીર કલમો વાળા કેસમાં નર્મદા જિલ્લાની રાજપીપળા સેસન્સ કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ગ્રાહ્ય રાખીને ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત તમામ 9 આરોપીઓને કલમ ૩૩૨, ૫૦૬(૨) અને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવી ૭ વર્ષની સખત જેલની સજા ફટકારી છે.
શું હતો સમગ્ર કેસ?
આ કેસની વિગત એવી છે કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન પર ખેતી કરવા અને અન્ય વન્ય વિવાદો બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં ફોરેસ્ટ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ધમકાવવા માટે હવામાં લાઈવ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ મામલે લાંબો સમય ચૈતર વસાવા જેલમાં પણ રહ્યા હતા અને બાદમાં શરતી જામીન પર મુક્ત થયા હતા, જેમાં હવે કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે.
ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં?
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3) મુજબ, કોઈપણ સાંસદ કે ધારાસભ્યને જો કોઈ ગુનામાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ શકે છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારતા હવે તેમની રાજકીય મુશ્કેલીઓ વધી ગઈ છે. કાયદાકીય રીતે જોવામાં આવે તો આ સજા બાદ તેમનું ધારાસભ્ય પદ રદ થવા પાત્ર બની શકે છે.
હવે ચૈતર વસાવાની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો નિર્ણય ગુજરાત હાઇકોર્ટના હાથમાં રહેશે. જો હાઇકોર્ટ તેમની સજા અથવા દોષિત ઠરાવવાના ચુકાદા પર સ્ટે નહીં આપે, તો ચૈતર વસાવાએ ધારાસભ્ય પદ ગુમાવવું પડી શકે છે. એવી સ્થિતિમાં ડેડીયાપાડા વિધાનસભા બેઠક ખાલી જાહેર થઈ શકે છે અને ત્યાં પેટાચૂંટણી યોજવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે હવે બધાની નજર ગુજરાત હાઇકોર્ટમાં ચૈતર વસાવાને મળનારી રાહત પર ટકેલી છે.
વધુ વાંચો : ગજરાજ પર રાખવામાં આવશે ‘GPS અને 360 ડિગ્રી કેમેરા’થી નજર

