Ahmedabad Rathyatra 2026 : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત જેના ઉત્સાહમાં રંગાવા માટે આતુર છે, તે અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી 16 જુલાઈના રોજ ભક્તિમય માહોલ અને લાખો ભક્તોની જનમેદની વચ્ચે જગતના નાથ નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા ભક્તોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસે આ વખતે એક અત્યંત પ્રશંસનીય અને આધુનિક પગલું ભર્યું છે.
ગત વર્ષના કડવા અનુભવમાંથી પાઠ ભણીને આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને આધુનિક ટેકનોલોજીનો અદભુત સમન્વય જોવા મળશે.
ગત વર્ષની ઘટના બાદ પોલીસનો મોટો નિર્ણય
તમને યાદ હશે કે ગત વર્ષે રથયાત્રા દરમિયાન અચાનક એક ગજરાજ (હાથી) બેકાબૂ બન્યો હતો, જેના કારણે થોડીવાર માટે ભક્તોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને જનમેદની સુરક્ષિત રહે તે માટે અમદાવાદ પોલીસે આ વખતે તમામ 18 ગજરાજ પર ખાસ વોચ રાખવાનું નક્કી કર્યું છે.
આ વખતે રથયાત્રામાં જોડાનારા તમામ હાથીઓની અંબાડી પર અત્યાધુનિક ઉપકરણો ફિટ કરવામાં આવશે. GPS ટ્રેકિંગ ડિવાઈસ જેનાથી દરેક હાથીનું લાઈવ લોકેશન જાણી શકાશે. હાથીની આસપાસ શું ચાલી રહ્યું છે અને ભીડની સ્થિતિ કેવી છે, તેનું 360 ડિગ્રી કેમેરાથી લાઈવ રેકોર્ડિંગ થશે. આસપાસના અવાજનું સ્તર માપવા માટે આ સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ મદદ કરશે, જેથી વધુ પડતા ઘોંઘાટથી હાથી ભડકે નહીં.
કંટ્રોલ રૂમમાં બેઠા-બેઠા જ પળેપળની નજર, સેકન્ડોમાં મળશે ‘એલર્ટ’
આ તમામ હાઈટેક ગેજેટ્સ સીધા પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટેડ રહેશે. જો રથયાત્રા દરમિયાન કોઈ ગજરાજ નક્કી કરેલા રૂટ પરથી જરા પણ ફંટાશે અથવા તેની ચાલવાની ગતિમાં કોઈ અસામાન્ય ફેરફાર (જેમ કે દોડવું કે અચાનક ઊભા રહી જવું) જણાશે, તો કંટ્રોલ રૂમમાં તરત જ ઓટોમેટિક એલર્ટ મેસેજ ટ્રીગર થઈ જશે.
આ એલર્ટ મળતાની સાથે જ જે-તે સ્પોટ પર હાજર સુરક્ષાકર્મીઓ અને હાથીના મહાવત સેકન્ડોની અંદર એક્શનમાં આવી શકશે અને પરિસ્થિતિ વણસે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાશે.
ભક્તોની સાથે ગજરાજની સુખાકારીનો પણ ખ્યાલ
પોલીસના આ નવતર પ્રયોગનો હેતુ માત્ર ભક્તોની સુરક્ષા પૂરતો મર્યાદિત નથી, પરંતુ આ ગજરાજોની સુખાકારી જાળવવાનો પણ છે. રથયાત્રાના લાંબા રૂટ પર કાળઝાળ ગરમી અને માનવ મહેરામણ વચ્ચે મૂંગા પશુઓ પણ તણાવમુક્ત રહે અને ભક્તિનો આ ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આ સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. નાથના સ્વાગત માટે અમદાવાદ સજ્જ થઈ રહ્યું છે ત્યારે ટેકનોલોજીની આ ‘ત્રીજી આંખ’ ચોક્કસપણે રથયાત્રાને વધુ સુરક્ષિત અને ભવ્ય બનાવશે.

