સુરતમાં ભલે હવે મેઘરાજાની સવારી ધીમી પડી ગઈ હોય, પરંતુ પાછલા બે દિવસના ભારે વરસાદે શહેરમાં જે જળપ્રલય સર્જ્યો છે, તેણે વેપારીઓ અને વાહનચાલકોને મોટો આર્થિક ફટકો આપ્યો છે. જળમગ્ન બનેલા સુરતની આ ગંભીર સ્થિતિનો તાગ મેળવવા હવે ખુદ સરકાર મેદાનમાં ઉતરી છે અને અધિકારીઓનો ઉધડો લીધો છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ઉચ્ચ-સ્તરીય બેઠક
સુરતમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી (ગૃહ રાજ્યમંત્રી) હર્ષ સંઘવી તાત્કાલિક સુરત પહોંચ્યા હતા. તેમણે ‘ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ ખાતેથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલતી રાહત કામગીરીનું સીધું નિરીક્ષણ કર્યું હતું અને જમીની સ્થિતિનું બારીકાઈથી મૂલ્યાંકન કર્યું હતું.
ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડના પેકેજની જાહેરાત
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સુરતની સૌથી મોટી સમસ્યા એવી ‘ખાડી’ના ઉકેલ માટે મોટો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે ખાડી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ, તેને વધુ ઊંડી કરવા અને ત્યાં થયેલા ગેરકાયદે દબાણોને હટાવવા માટે 500 કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ખાડી આસપાસના તમામ ગેરકાયદે દબાણો તાત્કાલિક તોડી પાડવાના સ્પષ્ટ આદેશો પણ આપી દેવાયા છે.
બેદરકાર અધિકારીઓ પર CM અને ડેપ્યુટી CM લાલઘૂમ
આ સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કડક મિજાજ જોવા મળ્યો હતો. શહેરમાં સર્જાયેલી સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ પર તેઓ લાલઘૂમ થયા હતા. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવાશે અને જરૂર પડ્યે ફોજદારી (ક્રિમિનલ) કેસ પણ દાખલ કરવામાં આવશે.
બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અધિકારીઓને આકરા સવાલો કર્યા હતા. તેમણે સીધો સવાલ પૂછ્યો હતો કે, “ભૂતકાળમાં જે ભૂલો થઈ છે, તેનું પુનરાવર્તન કેમ થઈ રહ્યું છે?” તેમણે કોઈપણ પ્રકારની લાપરવાહી કરનાર સામે સખત પગલાં ભરવાની તાકીદ કરી છે અને નુકસાનીના સર્વેની કામગીરી સત્વરે શરૂ કરવા સૂચના આપી છે.
24 કલાકમાં કેશડોલ અને સહાય પહોંચાડવાનું અલ્ટીમેટમ
સરકારે મહાનગરપાલિકા, પોલીસ અને જિલ્લા પ્રશાસન સહિતના તમામ વિભાગોને સંકલન સાધીને સાથે મળીને કામ કરવા આદેશ કર્યો છે. મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં સમય મર્યાદા આપતા કહ્યું છે કે, આગામી 24 કલાકની અંદર તમામ અસરગ્રસ્તો સુધી કેશડોલ (રોકડ સહાય) અને ઘરવખરીની સહાય પહોંચી જવી જોઈએ.
હવે જ્યારે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે સુરતની જનતા પણ એવી અપેક્ષા રાખી રહી છે કે આ માત્ર કાગળ પરની કડકાઈ ન રહે. ભ્રષ્ટ અધિકારીઓ અને લાંચિયા વહીવટદારો સામે ખરેખર કડક પગલાં ભરાય અને એવો દાખલો બેસાડવામાં આવે કે જેથી ભવિષ્યમાં સુરતીઓએ ફરીવાર આવી હાલાકીનો સામનો ન કરવો પડે.
આ પણ વાંચો : મેસી પર મહેરબાની? વર્લ્ડ ચેમ્પિયનને બચાવવાનો પ્લાન? ઇજિપ્તના આક્ષેપો “અમારી સાથે છેતરપિંડી થઈ”

