Gujarat Rajya Sabha Election 2026 : રાજ્યસભાની આગામી ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે ફરી એકવાર પોતાની ચોંકાવનારી રણનીતિથી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. રાજ્યની ખાલી પડી રહેલી ચાર બેઠકો માટે પાર્ટીએ ‘નો રિપીટ થિયરી’ અપનાવીને ચારેય નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. આ નિર્ણય સાથે ભાજપના જ કેટલાક જૂના અને દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ ગયા છે.
આ વખતે ભાજપે જે ચાર નામોની જાહેરાત કરી છે તેમાં રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયાનો સમાવેશ થાય છે. આ પસંદગીમાં પાર્ટીએ જ્ઞાતિ અને પ્રદેશના સમીકરણોને ખૂબ જ બારીકાઈથી સાચવ્યા છે. જાહેર કરાયેલા ઉમેદવારોમાંથી બે નેતાઓ સૌરાષ્ટ્ર વિસ્તારના છે જ્યારે બાકીના બે મધ્ય અને ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.
કોણ છે ભાજપના આ 4 નવા ઉમેદવારો?
ભાજપે આ વખતે જમીની સ્તરના કાર્યકરો અને સંગઠનના નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ચાલો જાણીએ આ ચારેય ઉમેદવારો વિશે:
- મુકેશ રાઠવા: છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની મુકેશ રાઠવા આદિવાસી સમાજનો મોટો ચહેરો છે. તેઓ સંગઠનમાં બહોળો અનુભવ ધરાવે છે. અગાઉ તેઓ ભાજપના મહામંત્રી અને યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
- જીતેન્દ્ર કણઝારીયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગ્રણી નેતા જીતેન્દ્ર કણઝારીયા સતવારા સમાજમાંથી આવે છે. તેઓ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે (જેમનું 2021 માં કોરોના કાળમાં નિધન થયું હતું).
- માનસિંહ પરમાર: ભાજપના સંગઠનમાં સક્રિય એવા માનસિંહ પરમાર હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે.
- રાજુ શુક્લા: કડી અને કલોલ વિસ્તારમાં ભાજપના પાયાના કાર્યકર તરીકે જાણીતા રાજુ શુક્લા હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.
સામે પક્ષે કેટલાક દિગ્ગજ નેતાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપના ત્રણ વર્તમાન સાંસદો રામભાઈ મોકરીયા, નરહરિ અમીન અને રમીલાબેન બારા નિવૃત્ત થઈ રહ્યા છે. પાર્ટીએ આ ત્રણેય નેતાઓને ફરીથી તક આપી નથી. આ ઉપરાંત ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ નિવૃત્ત થઈ રહ્યા છે.
આ ચૂંટણી કોંગ્રેસ માટે એક ઐતિહાસિક અને કપરા સંકટ સમાન બની ગઈ છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂનના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. નિયમ મુજબ ગુજરાતમાં રાજ્યસભાની એક પણ બેઠક જીતવા માટે પક્ષ પાસે 37 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવું જરૂરી છે. હાલની વિધાનસભાની સ્થિતિ જોતાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો બચ્યા છે. ઉમેદવારી નોંધાવવા માટે પણ ઓછામાં ઓછા 10 ધારાસભ્યોના ટેકાની જરૂર પડે છે. જો સત્તાધારી પક્ષ થોડી પણ રાજકીય ચાલ ચાલે તો કોંગ્રેસ માટે ઉમેદવારી ફોર્મ ભરવું પણ મુશ્કેલ બની શકે છે. આ આંકડાકીય વાસ્તવિકતાનો સીધો અર્થ એ થાય છે કે જૂન મહિના બાદ દેશની સંસદના ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને સંપૂર્ણપણે શૂન્ય થઈ જશે.
ચૂંટણી પંચે આ સમગ્ર પ્રક્રિયાનો સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે જે નીચે મુજબ છે:
- ચૂંટણીનું જાહેરનામું: 1 જૂન 2026
- ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન 2026
- ઉમેદવારી પત્રોની ચકાસણી: 9 જૂન 2026
- ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ: 11 જૂન 2026
- મતદાન અને પરિણામ: 18 જૂન 2026
વિધાનસભાના વર્તમાન સંખ્યાબળને જોતા આ ચૂંટણીના પરિણામો લગભગ નિશ્ચિત જ છે. ભાજપ પોતાની ચારેય બેઠકો બિનહરીફ કે આસાનીથી જીતી જશે તે નક્કી છે. કોંગ્રેસ માટે આ સમય આત્મનિરીક્ષણ કરવાનો અને જમીની સ્તરેથી સંગઠનને નવેસરથી ઊભું કરવાનો છે.

