આજથી ગણેશ ચતુર્થીનો શુભારંભ થઈ ગયો છે. આ વર્ષે 26 વર્ષ બાદ એક જ દિવસે કેવડા ત્રીજ અને ચોથ મનાવવામાં આવશે. છેલ્લે વર્ષ 2000માં કેવડા ત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે ઉજવવામાં આવ્યા હતા. અને હવે 26 વર્ષ પછી પાછો આ સંયોગ બન્યો છે. ચંદ્ર તિથિઓ એક જ દિવસે આવવાના કારણે આમ બન્યુ છે. 14 સપ્ટેમ્બર સવારે 7.07 વાગ્યા સુધી કેવડા ત્રીજ અને બાદમાં 15 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યા સુધી ચતુર્થી.
કેવડા ત્રીજે પૂજા અને વ્રતનો મહિમા
મહિલાઓ કેવડા ત્રીજે શિવ-પાર્વતીની પૂજા કરે છે. કાળી માટીમાંથી ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ બનાવી, માતા પાર્વતીને સૌભાગ્યની વસ્તુઓ ચઢાવો. શિવજી સમક્ષ ‘ઓમ નમ: શિવાય’ મંત્રનો જાપ કરો. આખો દિવસ નિર્જળા વ્રત કરો. ત્રીજની રાતે જાગરણ અને ભજન-કીર્તન કરવામાં આવે છે. કુંવારી કન્યાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે.
ગણેશજીની સ્થાપના અને પૂજા વિધિ
સાંજે 6.30 વાગ્યા સુધી ગણેશજીની પ્રતિમા સ્થાપના કરવા માટેનું મુહુર્ત શુભ માનવામાં આવે છે. પ્રતિમા સ્થાપના માટે સુંદર સજાવટ અને બાજોઠ તૈયાર કરી જળ, ચંદન, કંકુ, અક્ષત, દુંદાળા દેવને પ્રિય દુર્વા, ઘીનો દીવો સાથે રાખી સ્થાપના કરવી જોઈએ. આરતી કરી ભગવાનને પ્રિય મોદકનો ભોગ ધરાવવો.
ચંદ્રદર્શન ન કરવુ જોઈએ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન વર્જિત હોય છે. સવારે 9 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી ચંદ્રદર્શન કરવુ જોઈએ નહી. આ સમય દરમિયાન ચંદ્રદર્શન ટાળવુ જોઈએ.










