સપ્તઋષિની પૂજા સાથે ઋષિ પંચમીની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓ માટે આ દિવસે વ્રતનું ખાસ ધાર્મિક મહત્વ છે. ભાદરવા સુદ પાંચમના દિવસે ઋષિ પંચમીનું વ્રત રાખવામાં આવે છે. સપ્તઋષિઓને પૂજન અને અર્ચનનું આ દિવસે વિશેષ મહત્વ છે.
પૂજાનું મુહુર્ત અને પૂજાવિધિ
પંચાંગ અનુસાર સવારે 7.44 થી ઋષિ પંચમી શરૂ થશે અને આવતીકાલે સવારે 8.59 વાગ્યે પૂર્ણ થશે. આજે જ ઋષિપંચમીનું વ્રત અને પૂજા કરવામાં આવશે. સવારે 11 વાગ્યાથી 1.30 વાગ્યા સુધીનું મુહુર્ત પૂજા માટે શુભ માનવામાં આવી રહ્યુ છે. સપ્તઋષિનું ધ્યાન કરી તેમની ખાસ પૂજા અર્ચના કરવી જોઈએ.
સપ્તઋષિઓની પૂજા
કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠને સપ્તઋષિ તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે ઋષિઓનું સ્મરણ અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી જીવનમાં થયેલી ભૂલો અંગે પ્રાયશ્ચિત કરવાની તક મળે છે. આત્મશુદ્ધિનો પર્વ પણ માનવામાં આવે છે. સપ્તઋષિઓ સાથે અંજનિ માતાની પણ પૂજા કરવાનો મહિમા છે. સપ્તઋષિઓને જ્ઞાન, તપ, ધર્મ અને સદાચારનું પ્રતિક માનવામાં આવે છે.
મહિલાઓ માટે ખાસ વ્રત
ઋષિપંચમી એટલે કે સામા પાંચમ મહિલાઓ માટે વિશેષ માનવામાં આવે છે. જૂની ધાર્મિક પરંપરાઓમાં માસિક ધર્મ દરમિયાન કેટલાક નિયમો પાળવાની વાત છે. અજાણતા કોઈ નિયમનું પાલન ન થયુ હોય તો પ્રાયશ્ચિત માટે પંચમીનું વ્રત કરવામાં આવે છે. આ કારણથી જ મહિલાઓ માટે આ વ્રતનું ખાસ ધાર્મિક મહત્વ છે. આ દિવસે સામો ખાવાની પરંપરા છે. મહિલાઓ ફળાહાર કરી શકે છે, પરંતુ આ દિવસે અનાજ ન ખાઈ શકાય.
ઋષિપંચમીની પૌરાણિક કથા
ઉતંક નામનો બ્રાહ્મણ પત્ની અને બે સંતાનો પુત્રો અને પુત્રી સાથે રહેતો હતો. વૃદ્ધાવસ્થા દરમિયાન વિધવા પુત્રી, પત્ની સુશીલા સાથે ઉતંક આશ્રમે ચાલ્યો ગયો. એક દિવસ પુત્રી સતમા અત્યંત બિમાર પડી, શરીરમાં કીડા ખદબદવા લાગ્યા ત્યારે ઉતંકે સમાધિ લગાવી અને પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા. પુત્રી પૂર્વજન્મમાં રજોસ્વલ્લા ઋતુધર્મ ચૂકી ગઈ હતી અને અન્ય યુવતીઓની પણ ઠેકડી ઉડાવતી હતી જેના કર્મોના કારણે આવા હાલ થયા છે, ત્યારે બ્રાહ્મણ પત્નીએ ઉતંક પાસે પૂજા-વિધિ અને વ્રતનો મહિમા જાણ્યો અને પુત્રી સતમા અને સુશીલા બંનેએ ત્યારથી ઋષિપંચમીનું વ્રત રાખવાનું શરૂ કર્યુ.










