Raksha Bandhan 2026 Shubh Muhurat : ભાઈ-બહેનના પ્રેમ અને અતૂટ સંબંધનું પ્રતીક રક્ષાબંધન આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિએ એટલે 28 ઓગસ્ટ, શુક્રવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ વખતે રાખડી બાંધવાના દિવસને લઈને કોઈ ખાસ મૂંઝવણ નથી, કારણ કે 28 ઓગસ્ટે ભદ્રાની બાધા નહીં રહે. વિક્રમ સંવત અને દ્વિક પંચાંગ મુજબ, શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉદયકાલીન ત્રિમુહૂર્ત વ્યાપિની હોવાને કારણે 28 ઓગસ્ટે જ બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધશે.
જ્યોતિષીય દ્રષ્ટિએ આ દિવસે ચંદ્રમાં શતભિષા નક્ષત્ર, સુકર્મા યોગ અને મીન રાશિમાં રહેશે. આ સંયોગને રક્ષાબંધન માટે શુભ માનવામાં આવે છે.
28 ઓગસ્ટે ભદ્રાની બાધા નહીં
ધાર્મિક માન્યતા પ્રમાણે ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવાનું અશુભ ગણાય છે માટે રાખડી બાંધવાનું ટાળવામાં આવે છે. જોકે, આ વર્ષે 27 ઓગસ્ટે સવારે 9:09 વાગ્યે શરૂ થઈને રાત્રે 9:25 વાગ્યે ભદ્રા પૂર્ણ થશે. એટલે 28 ઓગસ્ટે રાખડી બાંધતી વખતે ભદ્રાની કોઈ બાધા રહેશે નહીં. આથી બહેનો આખો દિવસ યોગ્ય શુભ મુહૂર્ત જોઈને પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી શકશે.

રક્ષાબંધનના દિવસે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ ચંદ્રગ્રહણ પણ
28 ઓગસ્ટે વર્ષ 2026નું અંતિમ ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ ગ્રહણ સવારે 6:53 વાગ્યાથી બપોરે 12:31 વાગ્યા સુધી ચાલશે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. માટે ભારતમાં તેનો સૂતક કાળ માન્ય રહેશે નહીં. જેના કારણે રક્ષાબંધનની ધાર્મિક વિધિ પર તેની અસર નહીં પડે.

રાખડી બાંધવાનો શુભ સમય
28 ઓગસ્ટે રાખડી બાંધવા માટેના કેટલાક શુભ સમય આ મુજબ છે:
- અમૃત ચોઘડિયું: સવારે 6:08થી 10:53 સુધી
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:04થી 12:53 સુધી
- શુભ ચોઘડિયું: બપોરે 12:28થી 2:03 સુધી
- અપરાહ્ન કાળ: બપોરે 1:44થી સાંજે 4:16 સુધી
- ચર ચોઘડિયું: સાંજે 5:13થી 6:48 સુધી
રાખડી બાંધતી વખતે શું કરવું?
રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં રાખડી, કંકુ, અક્ષત, દીવો અને મીઠાઈ રાખી શકાય. રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશા તરફ રાખવું શુભ માનવામાં આવે છે.
બહેન ભાઈને તિલક કરે, બાદમાં અક્ષત લગાવી રાખડી બાંધે અને મીઠાઈ ખવડાવવી. ત્યારબાદ ભાઈ બહેનને રક્ષણનું વચન આપી ભેટ આપે છે.
નોંધ: શુભ મુહૂર્ત અને ધાર્મિક વિધિઓની ગણતરી સ્થાનિક પંચાંગ અને શહેર પ્રમાણે થોડી અલગ હોઈ શકે છે.










