ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Ahmedabad Heavy Rain : CM ભૂપેન્દ્ર પટેલે બોપલ-આંબલીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

Ahmedabad Heavy Rain

Ahmedabad Heavy Rain : અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને બોપલ અને આંબલી વિસ્તારની અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્યો બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોપલ-આંબલી વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા અને વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની જાતે સમીક્ષા કરી. કોઈ વિશેષ ઔપચારિકતા વિના તેઓ સામાન્ય નાગરિકની જેમ વરસાદી પાણીમાં ઉતર્યા અને જળમગ્ન વિસ્તારોનું નિરીક્ષણ કર્યું.

મુખ્યમંત્રીએ સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી. પાણી ભરાવાને કારણે લોકોને પડતી મુશ્કેલીઓ, સોસાયટીઓમાં પાણીના નિકાલની સ્થિતિ અને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે તેમણે સીધી માહિતી મેળવી હતી.

વરિષ્ઠ અધિકારીઓ સાથે પૂર અને રાહત કામગીરીની સમીક્ષા

મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સ્થળ પર જ વરસાદી પાણીના નિકાલ, રાહત કામગીરી અને બચાવ વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી.

સ્થળ પર જ ઇમરજન્સી બેઠક યોજાઈ

પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ મનપા અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ પર જ ઇમરજન્સી બેઠક યોજી હતી. બેઠક દરમિયાન પાણી ભરાયેલા વિસ્તારોમાંથી ઝડપથી પાણી બહાર કાઢવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ પમ્પિંગ સ્ટેશનો અને ડીવોટરિંગ પમ્પનો મહત્તમ ઉપયોગ કરીને વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. સાથે જ પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને જરૂરી મદદ પહોંચાડવા અને રાહત કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવા પણ અધિકારીઓને જણાવ્યું હતું.

મુખ્યમંત્રીની મુલાકાત બાદ તંત્ર હરકતમાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્વરિત મુલાકાત બાદ તંત્ર વધુ સક્રિય બન્યું છે. પાણીના નિકાલ અને રાહત કામગીરીને ઝડપી બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની સીધી મુલાકાત અને સ્થાનિકો સાથેની વાતચીતથી પૂરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓને પણ રાહત અને આશ્વાસન મળ્યું છે.


આ પણ વાંચો : ગુજરાતમાં રેડ એલર્ટ, અમદાવાદમાં જળબંબાકારથી જનજીવન ઠપ

Join WhatsApp

Join Now

Leave a Comment