Gujarat Rain : ગુજરાતમાં થયેલ ભારે વરસાદના પગલે રેલ્વે વ્યવહાર પર તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ-વિરમગામ રેલવે ટ્રેક પર છારોડી અને વિરમગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાઈ જતાં અનેક ટ્રેનોના રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વે દ્વારા કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોને આંશિક રદ કરાઈ છે. જ્યારે કેટલીક ટ્રેનોનો માર્ગ બદલવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
24 જુલાઈએ આ મુજબની ટ્રેનો સંપૂર્ણ રદ
24 જુલાઈ, 2026ના રોજ રેલવે દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે ટ્રેન નં. 69186/69185 વિરમગામ-અમદાવાદ-વિરમગામ MEMU અને ટ્રેન નં. 59512/59511 વિરમગામ-મહેસાણા-વિરમગામ પેસેન્જર ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે. આ ટ્રેનો રદ થવાને કારણે અમદાવાદ, વિરમગામ અને મહેસાણા વચ્ચે દૈનિક મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલી પડી શકે છે.
ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રીતે રદ
24 જુલાઈના રોજ સુરેન્દ્રનગરથી ગાંધીનગર કેપિટલ વચ્ચે ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ દોડશે નહીં. ઉપરાંત ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 જુલાઈના રોજ ગાંધીનગર કેપિટલથી સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે.
ત્રણ ટ્રેનોનો રૂટ બદલાયો
24 જુલાઈના રોજ રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે, ટ્રેન નં. 16335 ગાંધીધામ-નાગરકોઇલ એક્સપ્રેસ, ટ્રેન નં. 94802 ધ્રાંગધ્રા-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને ટ્રેન નં. 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનોને વિરમગામ-કટોસણ રોડ-કલોલ-અમદાવાદ માર્ગ પરથી ડાયવર્ટ કરીને ચલાવવામાં આવશે. રૂટ બદલાવના કારણે આ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચી શકે છે.
અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસના સમયમાં ફેરફાર
ટ્રેન નં. 12297 અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ 24 જુલાઈના રોજ રાત્રે 10:30 વાગ્યે અમદાવાદથી ઉપડવાની હતી. જોકે હવે આ ટ્રેન 25 જુલાઈ, 2026ના રોજ વહેલી સવારે 2:10 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરશે. માટે દુરંતો એક્સપ્રેસના મુસાફરોએ સુધારેલા સમય પ્રમાણે સ્ટેશન પર પહોંચવાની તૈયારી રાખવી પડશે.
મુસાફરોને ટ્રેનની સ્થિતિ ચકાસવા પશ્ચિમ રેલવેની અપીલ
પશ્ચિમ રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલાં પોતાની ટ્રેનનું લાઈવ સ્ટેટસ, પ્રસ્થાન સમય અને રૂટની નવીનતમ માહિતી તપાસી લેવી. ભારે વરસાદને કારણે પરિસ્થિતિમાં વધુ ફેરફાર થવાની શક્યતા રહે છે.
આ પણ વાંચો : ખેડામાં ભારે વરસાદથી તારાપુર માર્ગ પર પાણી ભરાયા, 200 બસ મુસાફરો અટવાયા

