Gujarat Heavy Rain : ડીપ ડિપ્રેશન, મોનસૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. રાજ્યમાં એકસાથે આ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આકાશી આફતનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આ 4 સિસ્ટમના કારણે આજથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે આજે 31 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદમાં 8 ઈંચ સુધી વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. તો નર્મદામાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ ખાબકી શકે છે.
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
આ સિવાય બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ. તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદને કારણે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદને લઈને ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે. થંડરસ્ટ્રોમની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અને 40 થી 61 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પવનનો મારો ફુંકાશે. ગાજવીજ સાથે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, જેના કારણે પ્રજાજનોને તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે.
1 ઓગસ્ટે અમદાવાદ સહિત ચાર જિલ્લામાં રેડ એલર્ટ
તો 1 ઓગસ્ટના રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને આણંદમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મોરબી, બોટાદ, ભાવનગર અને ભરૂચમાં ભારે વરસાદને લઈને ‘ઓરેન્જ એલર્ટ’ અને રાજ્યના બાકીના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.

2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ અને થંડરસ્ટ્રોમની શક્યતા
રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા અને હવામાન વિભાગના મતાનુસાર, રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ અને થંડરસ્ટ્રોમની પ્રબળ શક્યતા છે. આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની સ્પીડ 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની રહેશે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા રાજ્યના તમામ જિલ્લાના અધિકારીઓની રજા રદ કરી દેવાઈ છે. ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા દરેક જિલ્લામાં 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને એક વર્ગ-1 અધિકારીને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન માટે તૈનાત કરવાનો નિર્દેશ આપાયા છે.
છોટાઉદેપુર & પંચમહાલ: અશ્વિન નદીમાં ઘોડાપૂર
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલની શરૂઆત થઈ ચુકી છે. વહેલી સવારે 4 વાગ્યાથી વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. જેમાં છોટાઉદેપુર અને પંચમહાલમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. અહીંની અશ્વિન નદીમાં ઘોડાપૂર, નીચાણવાળા વિસ્તાર, માર્ગો પર પાણી ફરી વળતા જનજીવન બન્યું અસ્તવ્યસ્ત. તંત્ર સતર્ક છે, તો આપણે પણ સતર્ક બનીએ અને સુરક્ષીત રહીએ.
આણંદમાં વરસાદી આફત સામે ફાયર વિભાગ સજ્જ
આણંદમાં મેઘરાજાનો રાઉન્ડ શરૂ થતા, ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચુકી છે. ભારે વરસાદને પગલે આણંદમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવા લાગ્યા છે. આણંદના મેયરનો આ મતવિસ્તાર વૉર્ડ-2 માં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સતત વરસાદ પણ વરસી રહ્યો છે અને તંત્ર સજ્જ બન્યું છે. તો સ્થાનિકોને સતર્ક રહેવા તંત્રએ કરી છે અપીલ. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોની સુરક્ષા માટે તંત્ર સાબદુ બન્યું છે. સ્થિતિને પહોચી વળતા આણંદ ફાયર વિભાગનો કાફલો પણ સજ્જ થઈ ગયો છે.
ઘૂંણટસમા પાણી ભરાતા લોકોની હાલાકીમાં થયો વધારો. પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવા વાહનચાલકો મજબૂર બન્યા. શહેરના બેઠક મંદિર પાસે પણ વરસાદી પાણી ભરાયા. વરસાદ વરસવાની માંડ શરૂઆત થઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી અને પાણીનો ભરાવો થઈ રહ્યો છે.
દાહોદ: શાળાઓ-કોલેજોમાં રજા અને NDRF તૈનાત
દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જીલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા દાહોદ જીલ્લાની તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ, આંગણવાડીઓ, કોલેજો આજે અને આવતીકાલે રજા જાહેર કરી દેવાઈ છે. જિલ્લા કલેક્ટરે આ અંગેનો એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. સ્થિતિને પહોચી વળવા તંત્ર દ્રારા NDRF અને SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવાઈ છે.
ખેડા & NH-48: ઝીરો વિઝિબિલિટી, વાહન વ્યવહાર ધીમો પડ્યો
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ચુકી છે. ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ કાળાડીબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત. ખેડા અને માતર પંથકમાં મૂશળધાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. અમદાવાદ-વડોદરા NH-48 પર ભારે વરસાદને કારણે ઝીરો વિઝિબિલિટીના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં. વાહનની ગતિ ધીમી થઈ. ઠંડા પવનના સુસવાટા અને વરસાદના કારણે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત.
લોકોને સાવચેતી રાખવા તંત્રની અપીલ
તંત્ર દ્વારા લોકોને નદી-નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાન, ઝાડ અને વીજ થાંભલાની નજીક ઊભા ન રહેવું જોઈએ. વરસાદી પાણીનો પ્રવાહ વધુ હોય તેવા રસ્તા પરથી વાહન પસાર કરવાનો પ્રયાસ ન કરવા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સાબરમતીમાં 84 હેક્ટરમાં બનશે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો

