મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડુત આંદોલન મુદ્દે હકાભા ગઢવીએ મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે ખેડૂત કેટલીક એવી ઘટનાઓ સામે લાવવી જરૂરી છે. તેઓ અત્યાર સુધી મૌન રહ્યા કારણકે તેમને લાગતું હતું કે જો તેઓ બોલશે તો આંદોલન પડી ભાંગશે. હવે સત્ય સામે લાવવું જરૂરી છે. તેમને નિલેશ એરવાડીયા પાર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે એરવાડીયા એ ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે.
હકાભા ગઢવીના નિલેશ એરવાડીયા પાર આક્ષેપ
હકાભા ગઢવીએ દાવો કર્યો કે તેમને નિલેશ એરવાડીયાને કહ્યું હતું કે, જો સરકાર ખેડૂત પ્રતિનિધિમંડળને બોલાવે તો જવું જોઈએ પણ આ વાત પર નિલેશ એરવાડીયાએ જવાબ આપ્યો હતો કે, “એમાં આપણને શું મળે?”. ત્યારબાદ હકાભાના દાવા મુજબ નિલેશ એરવાડીયાએ સરકાર સાથે વાતચીત થાય તો 25 કરોડ રૂપિયા માંગવાના હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં, સરકાર સાથે બેઠકમાં જવા માટે 2 કરોડ રૂપિયા એડવાન્સ આપવાના હોવાની પણ વાત કરી હતી. હકાભાના કેહવા મુજબ તેમને પણ 1 કરોડ રૂપિયા આપવાની ઓફર પણ કરવામાં આવી હતી. હકાભા ગઢવીએ કહ્યું કે, આ વાત સાંભળ્યા બાદ તેઓ આખી રાત ઊંઘી શક્યા નહોતા. તેમને લાગ્યું કે આવી વિચારસરણી આખી સમિતિ અને ખેડૂત આંદોલનને નુકસાન પહોંચાડી શકે છે.
“મારે કોની પાસે જવું?” હકાભા ગઢવીએ કર્યા ગંભીર દાવા
હકાભાએ વધુમાં જણાવ્યું કે આ વાતનો પુરાવો રહે તે માટે સમગ્ર મામલામાં સત્યનો પુરાવો રહે તે માટે તેમણે ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ કર્યું હતું. હકાભાના જણાવ્યા મુજબ, “મારે કોની પાસે જવું? એટલે મેં પ્રૂફ માટે ફોન કર્યો અને વાતચીત રેકોર્ડ કરી.” હકાભાએ સમાજને સંબોધતા કહ્યું કે જો સમાજમાં આવા વિભીષણ હોય તો તેમને ઓળખવા જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ખેડૂત હિત માટે જ આંદોલનમાં જોડાયા હતા અને સત્યની લડાઈ લડતા હતા.
સ્થાનિક લોકોએ આપ્યું પ્રોત્સાહન
હકાભા ગઢવીએ જણાવ્યું કે 21 જૂને એલિસભાઈએ તેમને બોલાવ્યા હતા અને ત્યારથી તેઓ ખેડૂત આંદોલન સાથે જોડાયા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ સમગ્ર ઘટનાક્રમમાં તેમણે એકપણ રૂપિયા લીધા નથી. જેતપરના ખેડૂતો અને સ્થાનિક લોકોએ તેમને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. અને એટલે જ બીજા દિવસે પણ તેઓ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ત્યાં ગયા હતા. જોકે ત્યારબાદ તેમના વિશે એવી ચર્ચાઓ શરૂ થઈ કે તેઓ ભાજપના માણસ છે અને આંદોલનને નબળું પાડવા માટે તેઓ ત્યાંથી ખસી ગયા છે.
“હું મારી ઈચ્છાથી ખસ્યો નહોતો”
આ આક્ષેપોનો જવાબ આપતા હકાભાએ કહ્યું કે તેઓ પોતાની ઈચ્છાથી આંદોલનમાંથી દૂર થયા નહોતા. તેમના દાવા મુજબ, તેમને ત્યાં જવા દેવામાં આવતા નહોતા. તેમણે કહ્યું કે એવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી કે જો તેઓ ત્યાં જાય તો આંદોલન પર તેની અસર પડી શકે.
હકાભાએ વધુમાં જણાવ્યું કે 23 જૂને તેઓ ફરી એકવાર મળવા ગયા હતા. તે સમયે નિલેશ એરવાડિયા તેમની ગાડીમાં બેઠા હતા અને લગભગ બે કિલોમીટર સુધી પેટ્રોલ પંપ સુધી તેમની સાથે આવ્યા હતા. ત્યારબાદ બંનેની ગાડીઓ અલગ રાખવાની વાત કરવામાં આવી હતી.
જેતપર ખેડૂત આંદોલનને લઈને ચર્ચા તેજ
હકાભા ગઢવીના આ દાવાઓ બાદ જેતપર ખેડૂત આંદોલન ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. તેમણે કરેલા આક્ષેપો અને રજૂ કરેલા દાવાઓને લઈને હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે સંબંધિત પક્ષો તરફથી શું પ્રતિક્રિયા આવે છે, તેના પર હવે સૌની નજર છે. કારણ કે મુદ્દો ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલો છે, તેથી આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાઈ શકે છે.
આ પણ વાંચો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે શાહરુખનું સ્ટેડિયમ? સુવિધામાં કોણ આગળ?

