કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ ખાતે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી. સમીક્ષા દરમિયાન તેમણે પ્રોજેક્ટના કામકાજ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેક નાખવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રોજેક્ટના કેટલાક રૂટ્સને તબક્કાવાર રીતે સામાન્ય જનતા માટે ખુલ્લા મુકવાની પણ અપેક્ષા છે.
ગુજરાતની આર્થિક પ્રગતિને મળશે વેગ
રેલવે મંત્રીના જણાવ્યા મુજબ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગામી સમયમાં ગુજરાત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ પ્રોજેક્ટ રાજ્યની આર્થિક પ્રગતિ, ઔદ્યોગિક રોકાણ અને રોજગાર નિર્માણમાં મદદરૂપ બની શકે છે.
નવરાત્રિ પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ થશે
અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે ઓમનગર અંડરપાસનું કામ નવરાત્રિ પહેલા પૂર્ણ કરવાની તૈયારી છે. આ અંડરપાસ શરૂ થયા બાદ સ્થાનિક લોકોને ટ્રાફિક અને અવરજવર સંબંધિત મુશ્કેલીમાં રાહત મળવાની આશા છે.
સાણંદમાં બનશે દેશનો ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ
સાણંદને લઈને પણ રેલવે મંત્રીએ મહત્વની જાહેરાત કરી. તેમના જણાવ્યા મુજબ, સાણંદમાં દેશનો ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે. આ પ્લાન્ટનું નામ CG Semi OSAT છે અને તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ વિકાસ પ્રોજેક્ટ્સના કારણે અમદાવાદ અને ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને રોજગારની નવી તકો ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

