ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ (Indus Water Treaty) નો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. યુનાઈટેડ નેશન્સ (UN) માં ભારતે સંધિ અંગે પોતાનું જૂનું અને મક્કમ વલણ જાળવી રાખતા પાકિસ્તાન નારાજ થયું છે અને તેણે ભારતને સીધી યુદ્ધની ધમકી આપી છે.
શું છે પાકિસ્તાનની ધમકી?
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, જો તેમને લાગશે કે ભારત તેમના દેશની સુરક્ષાને ખતરો ઉભો કરી રહ્યું છે, તો પાકિસ્તાન ભારત વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો ઇસ્લામાબાદ પાસે એવા પુરાવા આવશે કે ભારત પાણીનો પુરવઠો રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી પર પણ વિચાર કરશે.
શા માટે સ્થગિત કરવામાં આવી સિંધુ જળ સંધિ?
વર્ષ 2025માં થયેલા પહેલગામ આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. ભારતનું વલણ સ્પષ્ટ છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી ચાલતા આતંકવાદ વિરુદ્ધ નક્કર કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી આ સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.
પાકિસ્તાનમાં જળ સંકટ અને દોષનો ટોપલો
સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ પાકિસ્તાનની લગભગ એક તૃતીયાંશ વસ્તી, ખાસ કરીને સિંઘ અને બલૂચિસ્તાન પ્રાંતો ગંભીર જળ સંકટનો સામનો કરી રહી છે. પાકિસ્તાનના રક્ષામંત્રીએ દેશમાં પાણીની આ અછત માટે ભારત પર દોષનો ટોપલો ઠોળવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદનો ખાતમો નહીં થાય ત્યાં સુધી સંધિ સસ્પેન્ડ જ રહેશે.
પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલી આ યુદ્ધની ધમકીઓ વચ્ચે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને આતંકવાદ વિરુદ્ધના વલણ પર મક્કમ છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું આ વલણ પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બન્યું છે, જે તેના સંરક્ષણ મંત્રીના નિવેદનોમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
વધુ વાંચો : નવું એરફોર્સ વન: ડોનાલ્ડ ટ્રમ્પે અનાવરણ કર્યું અમેરિકાના નવા આધુનિક રાષ્ટ્રપતિ વિમાનનું નવું સ્વરૂપ

