Married Daughters Eligible for Compassionate Appointment : સુપ્રીમ કોર્ટની જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાની ખંડપીઠે અલ્લાહાબાદ હાઈકોર્ટના અગાઉના અનેક ચુકાદાઓને રદ કર્યા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અનુકંપાના આધારે નિમણૂક (Compassionate Appointment) માટે ‘પરિવાર’ની વ્યાખ્યામાંથી પરિણીત પુત્રીઓને બાકાત રાખવી ગેરબંધારણીય છે. ભારતીય ન્યાયતંત્રમાં મહિલાઓના સમાન અધિકારોની દિશામાં એક મોટું પગલું છે.
શુ છે આખો મામલો ?
આ આખો મામલો ઉત્તર પ્રદેશ સરકાર અને કુલસુમ નિશા વચ્ચેનો છે. પોતાની માતાના નિધન બાદ કુલસુમ નિશાએ તેમની જગ્યાએ સસ્તા અનાજની દુકાનના લાયસન્સ માટે અરજી કરી હતી. તેની અરજીને એ કારણથી નકારી કાઢવામાં આવી હતી કે તે પરિણીત છે, અને 2019ના સરકારી આદેશ (GO) મુજબ ‘પરિવાર’ની વ્યાખ્યામાં પરિણીત પુત્રીઓનો સમાવેશ થતો નથી.

સુપ્રીમ કોર્ટનું તારણ અને બંધારણીય જોગવાઈ
બોમ્બે હાઈકોર્ટના ‘રંજના મુરલીધર’ કેસના ચુકાદાને સુપ્રીમે કોર્ટે યોગ્ય ઠેરવતા કહ્યું કે, વૈવાહિક દરજ્જો એ કલ્યાણકારી પગલાંથી વંચિત રાખવાનું કાયદેસરનું કારણ હોઈ શકે નહીં. સુપ્રીમે કોર્ટે સ્પષ્ટ કર્યું કે પરિણીત પુત્રીઓને નિમણૂકથી વંચિત રાખવી એ ભારતનું બંધારણની કલમ 14 અને કલમ 15નું સીધું ઉલ્લંઘન છે.
કેસની ગંભીરતા
સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે માત્ર પરિણીત હોવાને કારણે અરજી ફગાવી દેવી એ બંધારણીય રીતે ખોટું છે. અરજદાર લગ્ન પછી પણ પોતાની માતા સાથે રહેતી હતી અને દુસસ્તા અનાજની દુકાન ચલાવવામાં મદદ કરતી હતી. માતાના નિધન બાદ તેણે પોતાની વિકલાંગ બહેનની પણ જવાબદારી ઉપાડી હતી. અગાઉની નકારાત્મક ઓર્ડરને બાજુ પર રાખીને સુપ્રીમ કોર્ટે સક્ષમ અધિકારીઓને ચાર અઠવાડિયાની અંદર કુલસુમ નિશાને લાયસન્સ આપવાનો આદેશ કર્યો છે.
આ ચુકાદો માત્ર એક કેસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે દેશના તમામ સરકારી વિભાગો માટે એક મજબૂત દાખલો બનશે, જ્યાં પરિણીત દીકરીઓને આ કારણોસર અનુકંપાના લાભથી વંચિત રાખવામાં આવતી હતી.

