Breaking News : પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoJK) માં થઈ રહેલા અત્યાચારોનો મુદ્દો હવે માત્ર સ્થાનિક રહ્યો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગાજી રહ્યો છે. યુનાઇટેડ કિંગડમમાં(UK) માં વસતા હજારો કાશ્મીરીઓએ પાકિસ્તાન દ્વારા થઈ રહેલા માનવાધિકારના ભંગ અને બર્બરતા સામે ન્યાય મેળવવા માટે હવે લંડનના રસ્તાઓ પર ઉતરીને ભારે વિરોધ નોંધાવ્યો છે.
લંડનમાં યોજાઈ ઐતિહાસિક ‘કાશ્મીર મિલિયન માર્ચ’
પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા અત્યાચાર અને રાજકીય કાર્યકરોની ધરપકડના વિરોધમાં લંડનમાં એક વિશાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રો અનુસાર, આશરે 50,000 લોકોએ કૂચમાં ભાગ લીધો અને આ રેલીને ‘લંડન કાશ્મીર મિલિયન માર્ચ’ એવું નામ આપ્યું હતું. આ વિશાળ માર્ચ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરથી શરૂ થઈ હતી અને પાકિસ્તાની હાઈ કમિશનની ઓફિસ સુધી પહોંચી હતી.
જ્યાં પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા હતા અને આઝાદીના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. બલૂચ અને પશ્તુન સમુદાયના સભ્યો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા, કાશ્મીરી પ્રદર્શનકારીઓ સાથે એકતા દર્શાવી અને પાકિસ્તાની સેના પર તેમના પોતાના પ્રદેશોમાં માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો.
પાકિસ્તાનની બર્બરતા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે રોષ
હાઈ કમિશનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને વિશ્વભરના કાશ્મીરીઓ પાકિસ્તાન સેના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન જમ્મુ-કાશ્મીર નેશનલ ઇન્ડિપેન્ડન્સ એલાયન્સ (JKNIA) ના ચેરમેન મહેમૂદ કાશ્મીરીએ ત્યાં હાજર વિશાળ ભીડને સંબોધિત કરી હતી. મહેમૂદ કાશ્મીરીએ કહ્યું કે, આજે હજારો કાશ્મીરીઓ પાકિસ્તાની દળોની બર્બરતા અને અત્યાચાર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે.
PoK માં નાગરિકો પર થઈ રહ્યો છે સીધો હુમલો:
- મહેમૂદ કાશ્મીરીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સરકારે માત્ર પોતાના મૂળભૂત અધિકારો માંગવા બદલ PoK માં 600 થી વધુ સામાન્ય નાગરિકો અને અધિકારી કાર્યકરોની ધરપકડ કરી લીધી છે.
- POKમાં પોતાના જ હકો માટે લડી રહેલા લોકો પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અને ટીયરગેસ છોડવામાં આવી રહ્યા છે.
સ્થાનિક નેતાઓની ગેરકાયદેસર ધરપકડની આકરી નિંદા
PoK માં પાકિસ્તાની વહીવટીતંત્ર દ્વારા અવાજ દબાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ના આયોજકોનો દાવો છે કે સ્થાનિક વિરોધીઓ પર સુરક્ષા દળો દ્વારા કથિત ગોળીબારમાં અનેક લોકોના મોત બાદ આંદોલન વધુ તીવ્ર બન્યું હતું. અગ્રણી નેતા શૌકત નવાઝ મીર સહિત અન્ય કેટલાક રાજકીય આગેવાનોની પાકિસ્તાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લંડનના આ વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાનની આ હરકતની આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી અને તમામ નેતાઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
આ પણ વાંચો : સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો 6 જુલાઈના લેટેસ્ટ રેટ

