Gandhinagar News: ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં કપિરાજના હુમલાની ઘટનાઓ વધતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ છેલ્લા સાત દિવસ દરમિયાન કપિરાજે 15થી વધુ લોકો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. કેકેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અને અમુકને ટાંકા લેવાની પણ ફરજ પડી છે.
સોસાયટીના રહીશોમાં ભય
કપિરાજના સતત હુમલાને કારણે કુડાસણની સરલ હાઈટ્સ, સનફ્લાવર-1 અને સનફ્લાવર-2 સોસાયટીના રહીશો ચિંતિત બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કપિરાજ અચાનક લોકો પર હુમલો કરી રહ્યો છે, જેના કારણે બાળકો, વૃદ્ધો અને રસ્તા પર અવરજવર કરતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. હુમલાની વધતી ઘટનાઓને પગલે સ્થાનિકોએ તંત્ર સમક્ષ કપિરાજને તાત્કાલિક પકડવાની માંગ કરી છે.
વનવિભાગની ટીમે શરૂ કર્યું સર્ચ ઓપરેશન
ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ કુડાસણ વિસ્તારમાં પહોંચી હતી. ટીમ દ્વારા કપિરાજને પાંજરે પૂરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે લાંબા પ્રયાસ બાદ પણ કપિરાજ પકડથી દૂર રહ્યો હતો.
આ પણ વાંચો : સાબરમતીમાં 84 હેક્ટરમાં બનશે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો

