રાજકારણમાં ક્યારેય કંઈપણ સ્થિર હોતું નથી, અને આ વાત ફરી એકવાર કર્ણાટકના રાજકીય દંગલમાં સાબિત થઈ છે. કર્ણાટક વિધાન પરિષદ (MLC)ની સાત બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં એક એવો મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જ્યાં કોંગ્રેસે પોતાની વ્યૂહનીતિના જોરે પાંચ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. જ્યારે ભાજપના ફાળે બે બેઠકો આવી છે. મતદાનમાં તમામ 222 ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસે પોતાની મજબૂત વ્યુહરચના અને ચોકઠાં ગોઠવીને આ ચૂંટણીમાં એકતરફી જેવી જીત હાસલ કરી છે.
વિપક્ષી ગઢમાં ગાબડું અને ‘ક્રોસ વોટિંગ’નો ખેલ
આ ચૂંટણીમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે વિપક્ષી ખેમામાં મોટું ગાબડું પાડ્યું. ભાજપમાંથી હાંકી કઢાયેલા ત્રણ ધારાસભ્યોમાંથી બે ધારાસભ્ય- એસ. ટી. સોમશેખર અને શિવરામ હેબ્બાર પાસે કોંગ્રેસની તરફેણમાં ક્રોસ વોટિંગ કરાવવામાં આવ્યું હતું. આ ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો કોંગ્રેસે 7માંથી 5 બેઠકો પોતાના નામે કરી લીધી છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાળે માત્ર 2 બેઠકો જ આવી છે.
ભાજપના આ બે ધારાસભ્યો એસ. ટી. સોમશેખર અને શિવરામ હેબ્બારે કોઈપણ ડર વગર મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે તેમણે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, તેઓએ આને પોતાના ‘અંતરાત્માનો અવાજ’ ગણાવ્યો હતો. આ બંને નેતાઓ મતદાનના આગલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો જે રિસોર્ટમાં રોકાયા હતા ત્યાં પણ જોવા મળ્યા હતા.
જીત બાદ કોંગ્રેસનું શું કહેવું છે?
આ મોટી જીત બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિવકુમારે જાહેરમાં ક્રોસ વોટિંગ વિશે સીધી જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે પોતાની સમજદારી અને અંતરાત્માના અવાજ મુજબ ધારાસભ્યોએ મત આપ્યો છે. પરંતુ રાજકીય વર્તુળોમાં આ જીતને શિવકુમારની વ્યૂહાત્મક સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
જીતવા માટે 28 મતોનું ગણિત અને સંખ્યાબળ
નિયમો અનુસાર, આ વિધાન પરિષદની ચૂંટણી જીતવા માટે પ્રત્યેક ઉમેદવારને ઓછામાં ઓછા 28 મતોની જરૂરિયાત હતી. વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળના આધારે કોંગ્રેસ ચાર અને ભાજપ બે બેઠકો એકદમ સરળતાથી જીતી શકે તેમ હતી. પરંતુ કોંગ્રેસે પાંચમી બેઠક પર પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારીને આખી ચૂંટણીને ભારે રસપ્રદ અને રોમાંચક બનાવી દીધી હતી. ખાસ કરીને સાતમી બેઠક માટે કોંગ્રેસ અને જેડી(એસ) વચ્ચે સીધો મુકાબલો હતો, જેમાં અંતે કોંગ્રેસે પોતાની વ્યૂહનીતિના જોરે બાજી મારી લીધી હતી. આ મહત્વપૂર્ણ ચૂંટણી જંગમાં કોંગ્રેસ તરફથી થિપ્પન્નપ્પા કામકનૂર, પી. વી. મોહન, બી. કે. હરિપ્રસાદ, શિવન્ના બી એસ અને વિનય કાર્તિક પ્રકાશ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા

