તાજેતરમાં જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવીની સુરક્ષા હટાવી લેવામાં આવી હતી, જેના કારણે રાબડી દેવી ભારે રોષે ભરાયાં હતાં. આ વિવાદ હજુ શાંત પડ્યો નહોતો ત્યાં લાલુપ્રસાદના પુત્ર અને RJD નેતા તેજસ્વી યાદવે પણ પોતાની Z પ્લસ (Z+) સિક્યોરીટી સરકારને પરત કરી દીધી છે.
માતા-પિતાની સુરક્ષા હટાવાયા બાદ તેજસ્વી યાદવ નારાજ
પોતાના માતા-પિતાની સુરક્ષા હટાવી લેવાના સરકારના નિર્ણયથી તેજસ્વી યાદવ ભારે નારાજ જોવા મળ્યા હતા. તેમણે આ આખી ઘટનાને રાજકીય પગલું ગણાવ્યું છે. વિરોધ સ્વરૂપે તેમણે પોતે મળનારી હાઈ-પ્રોફાઈલ Z પ્લસ સુરક્ષા પણ પરત કરી દીધી છે. તેજસ્વી યાદવનું માનવું છે કે જો તેમના વરિષ્ઠ નેતાઓ અને પરિવારની સુરક્ષા સાથે બાંધછોડ થતી હોય, તો તેઓ પણ આવી સુરક્ષા રાખવા માંગતા નથી.
સુરક્ષા હટ્યા બાદ તેમના નિવાસસ્થાનની બહાર એકપણ પોલીસ અધિકારી કે જવાન તૈનાત ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે સુરક્ષાથી ભરચક રહેતું નિવાસસ્થાન હાલ સૂમસામ દેખાઈ રહ્યું છે.
RJDનો ગંભીર આરોપ : “વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવાનું રાજકારણ”
RJDએ આ નિર્ણયને લઈને રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે વિપક્ષી નેતાઓને દબાવવા અને રાજકીય રીતે નિશાન બનાવવા માટે તેમની સુરક્ષા હટાવવામાં આવી રહી છે. RJDના મતે આ પ્રકારનો નિર્ણય લોકતાંત્રિક મૂલ્યો અને રાજકીય પરંપરાઓ વિરુદ્ધ છે.
બીજી તરફ રાજ્ય સરકારનું કહેવું છે કે સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવેલા ફેરફાર સુરક્ષા એજન્સીઓની સમીક્ષા અને નિર્ધારિત નિયમો મુજબ જ કરવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે આ નિર્ણય કોઈ રાજકીય બદલા કે દબાણ હેઠળ લેવામાં આવ્યો નથી, પરંતુ સુરક્ષા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
નીતિશ સરકારની સ્પષ્ટતા: “આ નિયમ મુજબની પ્રક્રિયા છે”
બીજી તરફ, બિહાર સરકાર અને સુરક્ષા એજન્સીઓએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. રાજ્ય સરકારનું કહેવું છે કે સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવેલા ફેરફાર સુરક્ષા એજન્સીઓની સમીક્ષા અને નિર્ધારિત નિયમો મુજબ જ કરવામાં આવ્યા છે. લાલુ પરિવારની સુરક્ષામાં ફેરફાર પણ નિર્ધારીત નિયમો અને પ્રોટોકોલને આધીન રહીને જ કરવામાં આવ્યો છે. સરકારનો દાવો છે કે આ નિર્ણય કોઈ રાજકીય બદલા કે દબાણ હેઠળ લેવામાં આવ્યો નથી, પરંતુ સુરક્ષા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
હવે સવાલ એ છે કે લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવીની સુરક્ષા હટાવવી માત્ર નિયમિત સુરક્ષા સમીક્ષાનો ભાગ છે કે પછી બિહારમાં બદલાતા રાજકીય સમીકરણોનો સંકેત? તેજસ્વી યાદવ દ્વારા Z પ્લસ સુરક્ષા પરત કરવાનો નિર્ણય આ વિવાદને વધુ મોટો બનાવી શકે છે.

