અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એક એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેણે દરેક વાલીના મનમાં ડર અને ગુસ્સો ઊભો કરી દીધો છે. નિકોલની જાણીતી ચાણક્ય સ્કૂલમાં એક શિક્ષકે માસૂમ વિદ્યાર્થીને એટલા જોરથી લાફો ઝીંકી દીધો કે બાળકના કાનનો પડદો ફાટી ગયો.
PT ના લેક્ચરમાં ઝીંક્યો લાફો
મળતી માહિતી અનુસાર, શાળામાં PT (ફિઝિકલ ટ્રેનિંગ) નો પિરિયડ ચાલી રહ્યો હતો અને બધા વિદ્યાર્થીઓ મેદાનમાં શાંતિથી બેઠા હતા. આ દરમિયાન અચાનક એક શિક્ષકે આ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો. વિદ્યાર્થી હજુ કંઈ સમજે તે પહેલાં જ, કોઈપણ જાતના વાંક કે કારણ વગર શિક્ષકે તેના ગાલ પર જોરદાર લાફો ઝીંકી દીધો.
કાનમાંથી વહેવા લાગ્યું લોહી, ડૉક્ટરનો ચોંકાવનારો રિપોર્ટ
લાફાની તીવ્રતા એટલી ભયંકર હતી કે માર પડતાની સાથે જ બાળકના ડાબા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યારે ડૉક્ટરે બાળકની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે લાફાના જોરને કારણે બાળકના ડાબા કાનનો પડદો ફાટી ગયો છે. આ ઉપરાંત કાનના ભાગે લોહી જામી ગયું હતું અને ભારે સોજો પણ જોવા મળ્યો હતો. અઠવાડિયા કે 10 દિવસના ઓબ્ઝર્વેશન બાદ જો રિકવરી નહીં આવશે, તો કાનનું ઓપરેશન કરાવવું પડે તેવી શક્યતા છે.
પિતાએ કૃષ્ણનગર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
પોતાના વહાલસોયા બાળકની આવી પીડાદાયક અને ગંભીર હાલત જોઈને પિતા સીધા જ કૃષ્ણનગર પોલીસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે હાથ ધરી કડક કાર્યવાહી
વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપી શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

