Jagannath Rath Yatra 2026 Ahmedabad: આ વર્ષે અષાઢી બીજના રોજ યોજાનારી 149મી રથયાત્રા ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા(Jagannath Rath Yatra)ને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ મંદિર પ્રશાસન દ્વારા ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથોની મરામતથી લઈને સુરક્ષા અને વ્યવસ્થાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
રથયાત્રા પહેલાં રથના નવા પૈડાં તૈયાર
રથયાત્રાની પરંપરા મુજબ ભગવાનના રથની સુરક્ષા અને જાળવણી પર મંદિર પ્રશાસન દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવે છે. મંદિર પ્રશાસન દ્વારા સમયાંતરે રથના પૈડાંની તપાસ અને જરૂર મુજબ બદલવાની કામગીરી કરવામાં આવે છે. મંદિર પ્રશાસન પાસેથી મળતી માહિતી મુજબ, દર બેથી ત્રણ વર્ષે ત્રણેય રથના આગળના ભાગના કુલ છ પૈડાં નવા બનાવવામાં આવે છે. આ વખતે પણ બાવળના મજબૂત લાકડામાંથી કારીગરો દ્વારા સતત 15 દિવસની કામગીરીના અંતે આ છ નવા પૈડાં બનાવીને તૈયાર કરવામાં આવ્યા છે.
આગામી 3થી 4 દિવસમાં રથનું ટ્રાયલ લેવાશે
નવા પૈડાં ફિટ કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી ત્રણથી ચાર દિવસમાં મંદિર પરિસરની અંદર જ ત્રણેય રથનું ટ્રાયલ લેવામાં આવશે. આ ટ્રાયલ દરમિયાન રથની સુરક્ષા અને સંતુલનની ચકાસણી માટે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથનું મંદિર પરિસરની અંદર જ ટ્રાયલ લેવામાં આવશે, જેથી રથયાત્રાના દિવસે રથ સરળતાથી નગરચર્યાએ નીકળી શકે.
દોઢ સદીથી અવિરત ચાલતી પરંપરા
દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરેક ગુજરાતી માટે ગૌરવની ક્ષણ છે. છેલ્લા દોઢ સદીથી આ પરંપરા અવિરત અને નિર્વિઘ્ને ચાલી રહી છે.
દિલીપદાસજી મહારાજે વધુમાં જણાવ્યું કે દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં ઉત્સાહ પૂર્વક જોડાય છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ વર્ષે પણ ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદની જગન્નાથ રથયાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ શહેરની આસ્થા, પરંપરા અને ભક્તિનો સૌથી મોટો ઉત્સવ છે. રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ ભગવાન જગન્નાથજીના નગરચર્યાના દર્શન માટે આતુર છે.

