મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઉછાળા વચ્ચે મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના પેટ્રોલ પંપ પરથી ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય વપરાશકર્તાઓ માટે જથ્થાબંધ ખરીદી પરના નિયમો કડક કર્યા છે. નવી વ્યવસ્થા મુજબ આવા વપરાશકર્તાઓ હવે સીધા પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે નહીં.
90 દિવસ સુધી અમલમાં રહેશે નિર્ણય
સરકારનો આ નિર્ણય આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે. પીટીઆઈના અહેવાલ મુજબ મુજબ કેટલાક વિસ્તારોમાં ડીઝલની માંગમાં અસામાન્ય વધારો નોંધાયો હતો. તપાસમાં સામે આવ્યું કે અનેક ઔદ્યોગિક અને વ્યાવસાયિક વપરાશકર્તાઓ જથ્થાબંધ વેચાણ કેન્દ્રોને બદલે સામાન્ય પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી રહ્યા હતા. આ કારણસર છૂટક બજારમાં માંગ વધી રહી હતી અને પુરવઠા પર પણ દબાણ સર્જાઈ રહ્યું હતું.
જથ્થાબંધ અને છૂટક ભાવમાં મોટો તફાવત
સરકારના આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેનો ભારે તફાવત હોવાનું માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે દિલ્હીમાં છૂટક ડીઝલનો ભાવ અંદાજે ₹95.20 પ્રતિ લિટર હતો, જ્યારે જથ્થાબંધ ડીઝલનો ભાવ ₹134.50 પ્રતિ લિટર સુધી પહોંચી ગયો હતો. એટલે કે બંને વચ્ચે પ્રતિ લિટર ₹39થી વધુનો તફાવત જોવા મળ્યો હતો. આ કારણે ટેલિકોમ ટાવર ઓપરેટરો, વીજ ઉત્પાદન એકમો અને અન્ય ઉદ્યોગો માટે પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદવું વધુ સસ્તું પડતું હતું.
સરકારે આ નિર્ણય કેમ લીધો?
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો. જોકે સામાન્ય ગ્રાહકો પર ભાર ન પડે તે માટે રાજ્યની માલિકીની તેલ કંપનીઓએ છૂટક ભાવોમાં મોટો વધારો કર્યો નહોતો.
પરિણામે ઔદ્યોગિક અને વ્યાવસાયિક વપરાશકર્તાઓએ પણ આ સસ્તા છૂટક ભાવનો લાભ લેવાનું શરૂ કર્યું. જેના કારણે બજારમાં અસંતુલન સર્જાવાની શક્યતા વધી રહી હતી. સરકારે હવે આ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જથ્થાબંધ ખરીદી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
સામાન્ય ગ્રાહકો પર શું અસર પડશે?
આ નિર્ણયનો સીધો અસર સામાન્ય વાહનચાલકો અથવા વ્યક્તિગત ગ્રાહકો પર નહીં પડે. તેઓ અગાઉની જેમ જ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદી શકશે. આ પ્રતિબંધ માત્ર ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય વપરાશકર્તાઓ માટે લાગુ કરવામાં આવ્યો છે, જેથી સામાન્ય ગ્રાહકો માટે ઇંધણની ઉપલબ્ધતા જળવાઈ રહે અને બજારમાં સંતુલન જળવાઈ શકે.
આગામી દિવસોમાં સ્થિતિ પર રહેશે નજર
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આગામી 90 દિવસ દરમિયાન ઇંધણની માંગ, પુરવઠા અને ભાવની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે. જરૂર જણાય તો આ નિર્ણયમાં ફેરફાર અથવા સમયગાળામાં વધારો પણ થઈ શકે છે. હાલ માટે સરકારનું મુખ્ય લક્ષ્ય સામાન્ય ગ્રાહકોને રાહત આપવાનું અને ઇંધણ બજારમાં સ્થિરતા જાળવી રાખવાનું છે.

