Sergio Gor Kashmir Statement : શ્રીનગરમાં અમેરિકાના ભારતસ્થિત રાજદૂત સર્જિયો ગોરના એક નિવેદનથી પાકિસ્તાનમાં રાજદ્વારી સ્તરે મોટો ખળભળાટ મચી ગયો છે. શ્રીનગરના જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન અમેરિકાના ભારતસ્થિત રાજદૂત સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરને ભારતનો મહત્વનો ભાગ ગણાવ્યો હતો. સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો હોવાનું અને અમેરિકન નાગરિકોને કાશ્મીરની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરતા અમેરિકાની ટ્રાવેલ એડવાઇઝરીની સમીક્ષા કરવાની વાત પણ કરી હતી.
સર્જિયો ગોરના નિવેદનથી પાકિસ્તાન નારાજ
અમેરિકન રાજદૂતના આ નિવેદન બાદ પાકિસ્તાને સખત શબ્દોમાં વખોડી નાખ્યું છે. ઇસ્લામાબાદમાં અમેરિકન વરિષ્ઠ રાજદ્વારીને બોલાવી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેમને એક વિરોધ પત્ર (ડિમાર્શે) આપ્યો અને ગોરના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો. પાકિસ્તાને દાવો કર્યો કે જમ્મુ-કાશ્મીર વિવાદિત વિસ્તાર છે અને તેના અંતિમ ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રસ્તાવ મુજબ થવો જોઈએ.
કાશ્મીરની ટ્રાવેલ એડવાઇઝરીમાં બદલાવના સંકેત
સર્જિયો ગોરે માત્ર કાશ્મીર અંગે નિવેદન જ આપ્યું નથી, પરંતુ અમેરિકન નાગરિકો માટેની ટ્રાવેલ એડવાઇઝરીની પણ સમીક્ષા કરવાની વાત કરી છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો થયો હોવાનું જણાવ્યું હતું. આ કારણે અમેરિકાની વર્તમાન ટ્રાવેલ એડવાઇઝરીમાં ઘટાડો થઈ શકે છે અને વધુ અમેરિકન પ્રવાસીઓને કાશ્મીર તરફ આકર્ષવાનો પ્રયાસ થઈ શકે છે.












